આસામના CM તરૂણ ગોગોઇ બે દિ’ના ગુજરાત પ્રવાસે,BJP પર છોડ્યા તીર
Nov 23, 2017, 04:08 AM IST
ગાંધીનગર: દેશમાં ગુજરાતને વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામા આવે છે. ત્યારે આસામના સીએમ તરૂણ ગોગોઇએ વિકાસને લઇને ભાજપ સરકાર પર તીર છોડ્યા હતા. શહેરના સેક્ટર 24માં આવેલા ગોગોઇએ કહ્યુ કે જે રાજ્યના લોકો આટલા બધા મહેનતુ હોય, તેનો વિકાસ રોકેટ ગતિએ હોવો જોઇએ. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરી રહ્યો છુ, પરંતુ મને ક્યાંય પણ વિકાસ જોવા મળ્યો નથી. શહેરના સેક્ટર 24માં જ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.
યુવાનો સાથે તેમણે સીધો સંવાદ કર્યો હતો. આસામના સીએમ તરૂણ ગોગોઇ બુધવારે ગાંધીનગરમાં આવ્યા હતા. જ્યાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. બાદમાં શહેરના સેક્ટર 24માં આવેલા અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે રાજ્ય સરકારને આડે હાથ લેતા કહ્યુ કે રાજ્યમાં બે દિવસથી પ્રવાસ કરી રહ્યો છુ. પરંતુ મને ક્યાંય વિકાસ જોવા મળતો નથી.
હાલ જ્યાં બેઠા છીએ તે સેક્ટર 24માં જ ગંદકીની ફરિયાદો મળી રહી છે. ત્યારે કેવો વિકાસ હોય તે જોવા મળી રહ્યુ છે. શહેરના લોકો હેરાન થઇ રહ્યા છે અને સરકાર વિકાસની વાતો કરી રહી છે. સ્થાનિક કોર્પોરેટર અંકિત બારોટ, એનએસયુઆઇ ઉપપ્રમુખ અમિત પારેખ સહિત એનએસયુઆઇના કાર્યકરો હાજર રહ્યા હતા.
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-school-is-out-rocket-pace-of-development-of-the-state-should-be-tarun-gogoi-guja-5752462-PHO.html