વડાપ્રધાન મોદી ગુજરાતના પુત્ર તો શહીદ થનાર ૧૪ પાટીદાર યુવાનો કોણ હતા ?: અહમદ પટેલ

પાલેજ,તા.૧ર

બીજા અને અંતિમ ચરણના ચૂંટણી પ્રચારના ભાગરૂપે કરજણ વિધાનસભાના સૌથી મોટા એવા વલણ ગામે આવી કોંગ્રેસ રાજયસભાના સાંસદ રાજ બબ્બર દ્વારા પોતાની શાયરાના અંદાજમાં ભાજપા પ્રહારો કરી ગુજરાતનો વિકાસ ગાંડો થયો છે નું જણાવ્યું હતું.

કરજણ વિધાનસભા બેઠકનું અતિ મહત્વના એવા વલણ ગામ ખાતે રાજયસભા સાંસદ અહમદ પટેલ તેમજ રાજ બબ્બર દ્વારા ભાજપના વિકાસની વાતોને પોકળ બતાવી દલિત તેમજ પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કરનાર સરકારને ઉખેડી ફેંકવા જણાવી વડાપ્રધાન દ્વારા પદની ગરીમા સાચવ્યા વિના જૂઠાણું ફેલાવવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો રાજ બબ્બર દ્વારા ચર્ચાસ્પદ બનેલ પાકિસ્તાન સંબંધની વાત કરતા જણાવ્યું હતું કે વગેર આમંત્રણે બીરિયાની ખાવા પાકિસ્તાન જનાર વડાપ્રધાન મોદી પાકિસ્તાનનું નામ લઈ કોંગ્રેસ પાર્ટી અને અહમદ પટેલને નિશાન બનાવે તે શોભતું નથી વળી પોતે ગુજરાતના પુત્ર છે તો તમારી સરકારના જૂલ્મથી શહીદ થનાર ૧૪ પાટીદાર નૌજવાન કયાના હતા ? શું તે ગુજરાતના પુત્રો ન હતા ? જેવા વેધક સવાલો કરવામાં આવ્યા હતા.

વિકાસની વાતો કરનાર વડાપ્રધાને ગુજરાતનો કે દેશનો વિકાસ નથી જ કર્યો પરંતુ ૧પ લાખનો શુટ પહેરી પોતાનો અંગત વિકાસ કર્યો છે ઉપરાંત રાજ બબ્બર દ્વારા કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ગુજરાત કહે છે કે વિકાસ ગાંડો થયો છે અને વડાપ્રધાન કહે છે કે હું છું વિકાસ જણાવતા હાસ્ય વ્યાપી જવા પામ્યું હતું. ગુજરાતમાં ઓબીસી સમાજ દલિત સમાજ તેમજ પાટીદાર સમાજ સાથે અન્યાય તેમજ જુલ્મ ગુજારનાર સરકાર વિરૂધ્ધ ૧૪મી ડિસેમ્બરે પંજા પર મહોર મારશે. માટે કોંગ્રેસનો રાજય મજબૂત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રાજયસભા સાંસદ અહમદ પટેલની હાજરીમાં વલણ ભાજપના કાર્યકરો કોંગ્રેસનો ખેસ પહેરતા કાર્યકરોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. અહમદ પટેલ દ્વારા ગુજરાતના લોકો દુઃખી છેનું જણાવી કોંગ્રેસ ગુજરાતનું નવસર્જન કરી ખુશહાલી લાવશેનું જણાવી પોતે કહી ગુજરાતના મુખ્યમંત્રી નહીં બને તેમજ તેમના નામથી ખોટો પ્રચાર કરી ભાજપા દ્વારા ગંદી રાજનીતિ કરાતાનો આક્ષેપ કર્યો હતો.

Source: http://www.gujarattoday.in/pm-modi-gujarat-na-putra-to/