રાહુલ ગાંધી ફરીથી ગજવશે ગુજરાતઃ અમદાવાદમાં ૧૮ તથા ૧૯ મીએ રોડ-શો યોજાશે
અમદાવાદ તા. ૧પઃ
યુવા કોંગી નેતા સચિન પાયલોટ દ્વારા ગુજરાતમાં પ્રચાર કર્યા પછી પીઢ નેતા શશી થરૃર પણ ૧૭ મીએ ગુજરાતનો ચૂંટણી પ્રવાસ કરશે. તે પછી કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત ગજવવા આવી રહ્યા છે, અને તા. ૧૮ અને ૧૯ નવેમ્બરે અમદાવાદમાં રોડ-શો કરશે, તેમ જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે પણ આ વખતે નેતાઓની ફોજ ઉતારી છે. તા. ૧૭ મીએ પૂર્વ કેન્દ્રિય મંત્રી શશી થરૃર અમદાવાદ આવશે અને એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ યોજાશે. જ્યારે કોંગી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૧૮ અને ૧૯ નવેમ્બરે ફરી ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદ અને અન્ય શહેરમાં એમ બે રોડ-શો યોજવા તૈયારીઓ આરંભાય છે.
આજે રાહુલ ગાંધીની યુવા બ્રિગેડના નેતા સચિન પાયલોટ તથા જ્યોતિરાદિત્યસિંહ સિંધિયા ગુજરાતના પ્રવાસે છે, તે પછી ૧૭ મીએ શશી થરૃર અમદાવાદ આવશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી થયા પહેલા ઉમેદવારી પત્રકો ભરતા પહેલા ટોચના નેતાઓ ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે.
કોંગી વર્તુળોમાં છાનાખૂણે એવી ચર્ચા જાગી છે કે સતત પ્રવાસ અને લાંબા લચક કાર્યક્રમો છતાં કેન્દ્રિય નેતા રાહુલ ગાંધીના ચહેરા પર થાક જોવા મળતો નથી અને સતત ખુશમિજાજમાં હોય છે જ્યારે પ્રદેશના અડધો ડઝન ટોચના નેતાઓના કોઈ અગમ્ય કારણોસર ચહેરાઓ ફિક્કા લાગી રહ્યા હોય તેમ જણાય છે.
Source: http://www.nobat.com/news_detail.php?news_id=00334a9a3534303337