વાપી ખાતે આયોજિત “ખેડ સત્યાગ્રહ કિસાન રેલી”

વલસાડ જીલ્લાના વાપી તાલુકા ખાતે ૬૪મા ખેડ સત્યાગ્રહ કિસાન રેલીને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આઝાદીના સમયમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અનેક સત્યાગ્રહો થયા પણ દેશ આઝાદ થયા પછી પ્રથમ જમીન સુધારણા માટે અને ખેડૂતોના હિતમાં ખેડ સત્યાગ્રહ ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલ છે. જમીનદારી પ્રથાને લીધે હજારો ખેડૂતો પરેશાન હતા. ત્યારે ખેડ સત્યાગ્રહમાં સ્વ.શ્રી ઈશ્વરભાઈ સહીત અનેક મહાનુભાવોના નેતૃત્વમાં ખેડૂતોને તેમના હક્કની જમીન મળી. આજે ભાજપ સરકારે છેલ્લાં ૨૦ વર્ષમાં ખેડૂતોની જમીન આંચકી લેવાનું કામ કર્યું છે. પરિણામે ખેતીની જમીન ઘટી રહી છે અને ખેત મજદુરોની સંખ્યામાં મોટા પાયે વધારો થયો છે. ભાજપ સરકાર ખેડૂતો વિરોધી માનસિકતા ધરાવે છે. મોંઘા બિયારણ, મોંઘુ ખાતર, મોંઘી વીજળીના પરિણામે ખેતી અતિ મોંઘી છે. ત્યારે ખેત પેદાશોના ભાવ ન મળવાના કારણે ખેડૂત દેવાદાર બની રહ્યો છે. આર્થિક પરેશાનીના કારણે ખેડૂત આપઘાત કરવાની ફરજ પડે છે.