માસૂમ બાળકીઓ સાથે બળાત્કાર પર વડાપ્રધાન કેમ ચુપ રહે છે ? : રાહુલ ગાંધી
Home / સમાચાર / માસૂમ બાળકીઓ સાથે બળાત્કાર પર વડાપ્રધાન કેમ ચુપ રહે છે ? : રાહુલ ગાંધી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ભાજપના લોકોએ કહ્યું હતું કે, અચ્છે દિન આવશે, પરંતુ અચ્છે દિન આવ્યા નથી. તેમણે કહ્યું કે, દરેક લોકોએ વડાપ્રધાનના વચનો પર ભરોસો કર્યો હતો અને સૌનો ભરોસો તુટ્યો છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે, રાફેલ ડીલનો કોન્ટ્રેક્ટ તૈયાર હતો પરંતુ 540 કરોડ રૂપિયાનું વિમાન જાદૂથી રૂ. 1600 કરોડ નું થઇ ગયું. રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં કોંગ્રેસના નવા ભવનના ઉદ્ધાટન સમારોહમાં લોકોને સંબોધિત કરતા આ વાત કરી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આરોપ લગાવતા કહ્યું કે, તેમણે રાફેલનો કોન્ટ્રેક્ટ પોતાના એક મિત્રને અપાવ્યો.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું ફ્રાંસના રાષ્ટ્રપતિએ મને કહ્યું કે, સિક્રેટ પેક્ટમાં ભાવ સિક્રેટ રાખવાની કોઇ વાત નથી, પરંતુ રક્ષામંત્રીએ આ વાત છૂપાવી. સંસદમાં અમે જ્યારે આ બાબતે વાત કરી તો, તેઓ અમારી આંખથી આંખ મેળવી શક્યા નહી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ચોકીદાર હવે ભ્રષ્ટાચારમાં ભાગીદાર બની ગયો છે અને ભારતના ઇતિહાસમાં ડિફેન્સમાં સૌથી મોટો ગોટાળો વડાપ્રધાને કર્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી પર શાબ્દીક વાર કર્યા હતા. ઉત્તરપ્રદેશ અને બિહારમાં બનતી બળાત્કારની ઘટનાઓ મામલે રાહુલ ગાંધીએ નિશાન તાકતા કહ્યું કે, દેશમાં બળાત્કારની ઘટનાઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. તેવામાં પ્રધાનમંત્રી મોદી કેમ ચુપ રહે છે ?.
http://sandesh.com/rahul-gandhi-attacked-pm-narendra-modi-in-chhattigarh-rafael-scam-and-rape-case/