અતિવૃષ્ટિના કારણે પાટણ જીલ્લા અસરગ્રસ્ત વિવિધ ગામોની મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાનો

ભારે વરસાદના કારણે પુરમાં તારાજ થયેલ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ આજે સવારે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળ્યા હતા. સાત દિવસ કરતા વધુ સમય થયો છતાં અનેક ગામો સંપર્ક વિહોણા છે, રાજ્ય સરકાર તરફથી કોઈ મુલાકાત લેવામાં આવી નથી કે દુ:ખદર્દ સંભાળવામાં આવ્યા નથી. અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ છે. પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્તર ગુજરાતના પશુપાલકોને પુરમાં ભારે તારાજી વેઠવી પડી છે. સૌથી વધુ દૂધ ઉત્પાદક ઉત્તર ગુજરાતમાં ભારે પુરના કારણે હજારો પશુઓ મોતને ઘાટ ભેટ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સમયસર જો મૃત પશુઓને ખસેડવામાં નહિ આવે તો મોટા પાયે રોગચાળો ફાટી નીકળશે. રાધનપુર અને સાંતલપુરના અસરગ્રસ્તોએ કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સમક્ષ રાજ્ય સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. અનેક ગામોમાં મકાનો સંપૂર્ણ પણે પડી ગયા છે. અનેક મકાનો જરજરીત હાલતમાં છે અને ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે. ભારે પુરના કારણે બાળકો અને મહિલાઓની હાલત ઘણી જ નાજુક છે.